September 22, 2024

તિરુપતિ લાડુ વિવાદમાં હવે VHPની એન્ટ્રી! સંતો સાથે મળીને કરશે ભવિષ્યનો પ્લાન

Tirupati Laddu Controversy: આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના લાડુ પ્રસાદમ વિવાદને લઈને સમગ્ર દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક સોમવારે(23 સપ્ટેમ્બર 2024) તિરુપતિમાં બોલાવવામાં આવી છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતાં VHPના આંતરરાષ્ટ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના આદરણીય સંતોની આ બેઠકમાં હિન્દુ સમાજ સામેના પડકારો અને તેના ઉકેલો અંગે ચર્ચા કરવામાં આવશે. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં થતી ભેળસેળ અને તેના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ વિચાર કરવામાં આવશે.


સભામાં આંધ્રપ્રદેશ-તેલંગાણાના સંતો પહોંચશે
VHPના મહાસચિવે કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદનું સર્વોચ્ચ નીતિ નિર્માતા મંચ સંતોનું છે, જેમાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સભ્યોના સંતો મુખ્ય ભૂમિકા ભજવે છે. જેની વર્ષમાં બે વાર બેઠક મળે છે. તેમણે કહ્યું, “આ વખતે અમે પ્રાદેશિક રીતે અર્ધવાર્ષિક બેઠકો યોજવાનું નક્કી કર્યું છે અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સભ્ય એવા સંતોની તેની પ્રથમ બેઠક સોમવારે તિરુપતિમાં આખો દિવસ ચાલશે.”

તિરુપતિ પ્રસાદ વિવાદ ચિંતાજનક છે- VHP
VHPના મહાસચિવ બાગરાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં હિન્દુ સમાજ સામેના વિવિધ પડકારો પર ચર્ચા કરવામાં આવશે અને મુખ્યત્વે તે ઉકેલોમાં સંતોની ભૂમિકા અંગે કેટલાક નિર્ણયો લેવામાં આવશે. તેમણે કહ્યું, “તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદને લઈને જે પ્રકારની ગેરસમજો અને ચિંતાજનક સમાચારો છે તેના વિશે ચોક્કસપણે ચર્ચા થશે જે સમગ્ર હિંદુ સમાજને ભારે તકલીફ આપી રહી છે. આ અંગે પૂજ્ય સંતોની ભૂમિકા અને તેમના નેતૃત્વમાં કેવા પ્રકારનો કાર્યક્રમ યોજવો તે અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકમાં તિરુપતિ પ્રસાદમને લઈને સંતો દ્વારા ઠરાવ પસાર કરવામાં આવે તેવી પણ શક્યતા છે.