September 20, 2024

મેઘમહેરથી રાજ્યના 48 જળાશયો છલકાયાં, સરદાર સરોવર ડેમમાં 57% જેટલો જળસંગ્રહ

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ગુજરાતના કુલ 48 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કર્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 57%થી વધુ જળ સંગ્રહ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,09,663 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.28 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે

રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં 79,274 ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં 72,382 ક્યુસેક, દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 65.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141માં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17માં 44.01 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 27.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.