September 27, 2024

નવરાત્રિમાં સુરક્ષા માટે સુરત પોલીસ કરશે Artificial Intelligence નો ઉપયોગ

અમિત રૂપાપરા, સુરત: નવરાત્રિના આયોજનને લઈને સુરત શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. દેશનો સૌથી મોટો તહેવાર નવરાત્રી કહેવાય છે અને નવ દિવસ ચાલનારા તહેવારને લઈને સુરત શહેર પોલીસ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇ નાનામાં નાની બાબતોનું ચોકસાઈ પણે ધ્યાન રાખવામાં આવ્યું છે. નવરાત્રીમાં ખાસ કરીને મહિલા સુરક્ષાને સુરત પોલીસ દ્વારા વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

સુરતમાં સૌ પ્રથમ વખત નવરાત્રી દરમિયાન આયોજકો નિયમનું પાલન કરે છે કે નહીં તે ચકાસણી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નવરાત્રી અગાઉ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તમામ આયોજકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં તમામ નિયમોનું પાલન થાય તે માટે આયોજકોને પણ ટકોર કરવામાં આવી છે.

નવરાત્રિના આયોજનને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેર મીની ભારત કહેવાય છે અને નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના સુરતમાં કરવામાં આવશે. ત્યારે આ બાબતે સુરત શહેર પોલીસ દ્વારા પણ તમામ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. 4000 હોમગાર્ડ અને 250 મહિલાની શી ટિમ સતત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે. આ ઉપરાંત છ સ્ટેટ રિઝર્વ ફોર્સની ટીમને પણ ડિપ્લોય કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, આયોજકોએ સમયસર એનઓસી કે અન્ય મંજૂરી મેળવી છે કે નહીં અને આ તમામ બાબતોની ખરાઈ માટે આયોજકો સાથે એક બેઠક પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોએ પૂરતી વ્યવસ્થા કરવી પડશે. ડીજે સાઉન્ડ દ્વારા ગરબાનું આયોજન જ્યાં થયું હશે ત્યાં આયોજકો રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમાડી શકશે. ઉપરાંત લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ડોમથી જનરેટર દૂર રાખવા પડશે. આ ઉપરાંત જનરેટરમાં ઉપયોગમાં લેવામાં આવતું પેટ્રોલ કે ડીઝલનો સ્ટોર કરી શકાશે નહીં. તો તમામ ડોમને સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવશે અને મહિલાઓ માટે ચેકિંગની વ્યવસ્થા અલગ રાખવી પડશે.

સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસ દ્વારા ગરબા આયોજકોને ટકોર કરવામાં આવી છે કે, સિક્યુરિટી ગાર્ડ તરીકે જે પણ વ્યક્તિને કામગીરી સોંપવામાં આવે તે વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ અને આ માટે ગરબા આયોજકોએ સિક્યુરિટી ફરજ બજાવતા તમામ લોકોનું લીસ્ટ પોલીસને આપવું પડશે અને પોલીસ આ બાબતની ખરાઈ કરશે. આ ઉપરાંત અવાવરું જગ્યા પર નવરાત્રીના આયોજન નજીક લાઇટિંગની વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે અને અન્ય જગ્યા પર પોલીસ પાલિકાની ટીમને સાથે રાખીને લાઇટિંગની વ્યવસ્થા કરશે.

તો બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા વીધર્મીઓને ગરબાના આયોજનોમાં કે ઓરકેસ્ટ્રામાં ન રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ બાબતે સુરત પોલીસે જણાવ્યું કે આ બાબતનું ધ્યાન આયોજન કોઈપણ રાખવું પડશે અને ગરબા રમવા આવતા ખેલૈયાઓની સુરક્ષા પર વધારે ધ્યાન આપવાનું રહેશે. તો બીજી તરફ હિંદુ સંગઠનોના જણાવ્યા અનુસાર ડોમ અને તેની આસપાસ માદક પદાર્થનું વેચાણ ન થાય એટલા માટે પોલીસ દ્વારા પણ આ તમામ બાબતો પર સતત નજર રાખવામાં આવશે.

ડોમની અંદર લોકો કાઉન્ટ કરી શકાય તે પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેથી કેપેસિટી કરતાં વધારે લોકો જો ડોમમાં એકઠા થશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગરબા આયોજનની અંદર જેટલા પણ સીસીટીવી કેમેરા આયોજકો દ્વારા લગાડવામાં આવ્યા છે કે તમામ સીસીટીવી કેમેરાના આઈપી એડ્રેસ પોલીસ કંટ્રોલરૂમમાં મંગાવી લેવામાં આવ્યા છે જેથી કરીને આ તમામ આયોજન અને તમામ પરિસ્થિતિ પણ પોલીસ સીધી નજર રાખી શકે.