ફરી સત્તામાં આવવું મુશ્કેલ, દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસની હાર બાદ શશિ થરૂરનું નિવેદન

Delhi Assembly ELection: કોંગ્રેસના ભવિષ્ય અંગે ચર્ચા કરતા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, પાર્ટી માટે દિલ્હીમાં સત્તામાં પાછા ફરવું મુશ્કેલ છે કારણ કે તે ત્રણ વખત સત્તાથી બહાર રહી છે. કમ્યુનિસ્ટ અને સમાજવાદી પાર્ટીનો ઉલ્લેખ કરતા તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ હજુ પણ દરેક રાજ્યમાં એક-બે બેઠકો સાથે મોજૂદ છે, પરંતુ આ પક્ષો ફક્ત થોડા રાજ્યો સુધી મર્યાદિત છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર શશિ થરૂરે કહ્યું કે અમે દિલ્હીમાં ત્રણ વખત હાર્યા છીએ, તેથી જ્યારે અમે કોઈ રાજ્યમાં ત્રણ વખત ચૂંટણી હારીએ છીએ, ત્યારે અમે એ પણ જાણીએ છીએ કે પાછા આવવું સરળ નથી કારણ કે લોકો અન્ય વિકલ્પો શોધી કાઢે છે. આ એક મોટી ચેલેન્જ છે.
તેમણે કહ્યું, ‘ઘણા રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસ ગઠબંધન કરીને જ આગળ વધી શકે છે. ઉદાહરણ તરીકે, કોંગ્રેસ 1996 સુધી યુપીમાં રહી અને સરકાર પણ ચલાવી, પરંતુ હવે તેની તકો ઘણી ઓછી છે. આપણે સમાજવાદી પાર્ટી અથવા અન્ય કોઈ પક્ષ સાથે જોડાણ કરીને જ આગળ વધી શકીએ છીએ. બિહારમાં પણ આવી જ કહાની છે. અમે તમિલનાડુમાં પણ ગઠબંધનમાં છીએ. તો દરેક રાજ્યની વાર્તા અલગ છે.
શશિ થરૂરે કહ્યું કે કોંગ્રેસ કર્ણાટક અને તેલંગાણામાં જે તાકાત બતાવી શકે છે, તે પશ્ચિમ બંગાળ અને બિહારમાં બતાવી શકશે નહીં, પરંતુ તે બીજી રીતે આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે જો તમે દેશની સરકારમાં પરિવર્તન લાવવા માંગતા હોવ તો આપણે એકલા આવવું ફરજિયાત નથી. આપણે આપણા વિચારો શેર કરતા અન્ય પક્ષો સાથે આગળ વધી શકીએ છીએ.
શશિ થરૂરે કહ્યું કે કોંગ્રેસ દરેક રાજ્યમાં એક કે બે બેઠકો સાથે હાજર છે, પરંતુ ભૂલશો નહીં કે એક સમય હતો જ્યારે સમાજવાદીઓ અને સામ્યવાદીઓ દરેક રાજ્યમાં હાજર હતા, પરંતુ હવે એવું નથી. સામ્યવાદીઓ ફક્ત પશ્ચિમ બંગાળ અને કેરળમાં જ છે અને બંગાળમાં પણ તેમની પાસે શૂન્ય બેઠકો છે અને કેરળમાં લોકસભાની કોઈ બેઠક નથી. જોકે, કેરળ વિધાનસભામાં તેમની સારી હાજરી છે. તેમણે કહ્યું કે જો આપણે સમાજવાદીઓની વાત કરીએ તો ફક્ત ઉત્તર પ્રદેશમાં જ સમાજવાદી પાર્ટી છે. બાકીના જેમ કે સમતા પાર્ટી વગેરે ચાલ્યા ગયા.